બીલીમોરામાં ઈદે મિલાદ નિમિત્તે ભવ્ય જુલૂસ, કોમી એકતાનો સંદેશ
Grand Eid-e-Milad procession in Bilimora spreads message of communal harmony
બીલીમોરા : ઇસ્લામ ધર્મના પયગંબર હઝરત મુહમ્મદ સાહેબના જન્મદિવસની યાદમાં મનાવવામાં આવતા પવિત્ર ઈદે મિલાદના પ્રસંગે બીલીમોરા શહેરમાં ધાર્મિક ભાવના અને ઉત્સાહભેર ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેસરા સુન્નત જમાતના આગેવાનો લતીફભાઈ આમલીવાળા, શાકીર ઘાસવાળા, શોએબ શેખ અને ફૈઝલ ઈરાની સહિતના આગેવાનોની આગેવાની હેઠળ દર વર્ષની પરંપરા મુજબ આ જુલૂસ યોજાયો હતો.
દેસરા દરગાહથી પ્રસ્થાન કરેલા જુલૂસે બીલીમોરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ ફરી દેસરા ખાતે પહોંચીને પૂર્ણાહુતિ કરી હતી.
આ જુલૂસ દરમિયાન બીલીમોરાના વિવિધ સંગઠનો દ્વારા ઉપસ્થિત લોકો માટે ઠંડા પીણા તેમજ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિવિધ સમાજના લોકો દ્વારા સહકાર અને સેવા આપી ધાર્મિક પ્રસંગને સૌહાર્દપૂર્ણ બનાવવામાં આવ્યો હતો.
આ જુલૂસ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના કે વિવાદ ન સર્જાય તે માટે બીલીમોરા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે દેસરા સુન્નત જમાતના આગેવાનો દ્વારા કોમી એકતા, ધાર્મિક આસ્થા સાથે માનવસેવા, શાંતિ અને હંમેશા ભાઈચારો જળવાઈ રહે તેવો શુભ સંદેશ આપવામાં આવ્યો હતો.
જુલૂસની પૂર્ણાહુતિ બાદ લોકો, સમાજ અને સમગ્ર દેશની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી. સૌના જીવનમાં શાંતિ, સલામતી અને ખુશહાલી રહે તેમજ દેશ સતત પ્રગતિ કરે તેવી પ્રાર્થના સાથે ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી.

