જ્યાં અંતિમ વિદાય અપાય છે, ત્યાં માતા-પિતાના સ્મરણમાં ગુંજ્યા ભજન
જ્યાં અંતિમ વિદાય અપાય છે, ત્યાં માતા-પિતાના સ્મરણમાં ગુંજ્યા ભજન
ઊંડાચના મુક્તિધામ ખાતે 12 કલાક ભજન, ધૂન અને સપ્તાહ દ્વારા દિવંગત માતા-પિતાને ભાવાંજલિ અર્પણ
બીલીમોરા : ગણદેવી તાલુકાના ઊંડાચ ગામના રાઘવ ફળિયા સ્થિત મુક્તિધામ ખાતે માતા-પિતાની આત્મશાંતિ અને મોક્ષાર્થે અનોખા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10થી રાત્રે 10 વાગ્યા સુધી સતત 12 કલાક ભજન, ધૂન અને સપ્તાહના માધ્યમથી દિવંગત માતા-પિતાને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
મુક્તિધામ સામાન્ય રીતે અંતિમ વિદાય સાથે જોડાયેલું સ્થળ છે, પરંતુ અહીં માતા-પિતાના સ્મરણમાં ભક્તિ અને પ્રાર્થનાનું આયોજન કરી તેમને શ્રદ્ધાંજલિ આપવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.
આ આયોજનનો મુખ્ય સંદેશ એ રહ્યો કે માતા-પિતા આપણા જીવનના પ્રથમ ગુરુ અને સંસ્કારના આધારસ્તંભ છે. તેમના જીવનકાળમાં તેમની સેવા અને સન્માન કરવું એ જ સાચી ભક્તિ છે. તેમના નિધન બાદ તેમનું સ્મરણ અને આત્મશાંતિ માટેની પ્રાર્થના સંતાનોની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક માર્ગ છે.
ઊંડાચની આ પહેલ ધાર્મિક આસ્થા સાથે સમાજને માતા-પિતાના સન્માન અને સંસ્કારોનું મહત્વ સમજાવતો ભાવનાત્મક અને બોધપ્રદ સંદેશ આપી ગઈ હતી.

