રૂ. 2.11 કરોડના ખર્ચે નિર્માણ થયેલા વલસાડ જિલ્લા માહિતી ભવનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ
રૂ. 2.11 કરોડના ખર્ચે નિર્માણ થયેલા વલસાડ જિલ્લા માહિતી ભવનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ
નવા માહિતી ભવનમાં પત્રકારો માટે અલાયદો રૂમ, કોન્ફરન્સ હોલ, લાઈબ્રેરી અને વિવિધ કચેરી સુવિધાઓ ઉપલબ્ધ
વલસાડ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. 2 કરોડ 11 લાખના ખર્ચે નિર્માણ થયેલા વલસાડ જિલ્લા માહિતી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી સેવા સમર્પણ અને સેવા સુશાસન અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સરકારની યોજનાઓ અને સરકારી કાર્યક્રમોની સાચી માહિતી જનતા સુધી પહોંચાડવામાં માહિતી ખાતું મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને સરકાર તથા પ્રજા વચ્ચે સેતુરૂપ કાર્ય કરે છે.
તેમણે જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં માહિતી ખાતાની આધુનિક અને સુવિધાસભર કચેરીની માંગ હતી, જે હવે નવા માહિતી ભવનના લોકાર્પણ સાથે પૂર્ણ થઈ છે. જિલ્લા માહિતી કચેરી સરકારના વિકાસ કાર્યોની ઝડપી અને સાચી માહિતી લોકો સુધી પહોંચાડવામાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન જે. પટેલે જિલ્લાના નાયબ માહિતી નિયામક ઉમેશ બાવીસાને અભિનંદન પાઠવ્યા હતા. વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે માહિતી ખાતું સરકાર અને પ્રજા વચ્ચે સેતુરૂપ કામગીરી બજાવે છે. નવા માહિતી ભવનથી સરકારના પ્રચાર-પ્રસારની કામગીરી વધુ સુવ્યવસ્થિત રીતે થઈ શકશે.
નવા માહિતી ભવનમાં વિવિધ સુવિધાઓ
માહિતી ભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ અને પત્રકાર રૂમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રથમ માળે ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ઈન્ફોર્મેશન ઓફિસરની ચેમ્બર, સિનિયર સબ એડિટરની ચેમ્બર, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ, એડમિન અને એકાઉન્ટ બ્રાંચ, ઈન્ફોર્મેશન આસિસ્ટન્ટ અને સ્ટાફ ચેમ્બર, લિટરેચર રૂમ, રેકર્ડ રૂમ, રજિસ્ટ્રી અને માહિતી કેન્દ્રનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બીજા માળે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ચેમ્બર, ઈલેક્ટ્રોનિક મીડિયા અને ટેકનિકલ બ્રાંચ હોલ, એક્ઝિબિશન/કોન્ફરન્સ હોલ સાથે લાઈબ્રેરી, સ્ટોરરૂમ તેમજ વધારાના બે રૂમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
પત્રકારો માટે અલાયદો રૂમ
નવા માહિતી ભવનમાં પત્રકારો માટે અલાયદો રૂમ ફાળવવામાં આવ્યો છે, જેથી મીડિયા કર્મીઓને એક જ સ્થળેથી જરૂરી માહિતી અને સમાચાર સંબંધિત વિગતો સરળતાથી મળી રહેશે. મુલાકાતીઓ માટે પ્રદર્શની નિહાળવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
આ પ્રસંગે માહિતી વિભાગની સુરત પ્રાદેશિક કચેરીના સંયુક્ત માહિતી નિયામક એ.બી. મછાર, નાયબ કાર્યપાલક ઇજનેર સુનિલ મહેતા, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

