ખડસુપા ગામે તળાવ ઊંડું કરવાનો ઠરાવ રદ કરાયો, ઈજારદાર પહોંચ્યો હાઈકોર્ટના દ્વારે
ખડસુપા ગામે તળાવ ઊંડું કરવાનો ઠરાવ રદ કરાયો, ઈજારદાર પહોંચ્યો હાઈકોર્ટના દ્વારે
ટીડીઓના રદ હુકમની જાણ ન કર્યાના આક્ષેપ; સરપંચ-તલાટીએ વિવિધ વિભાગોને અંધારામાં રાખી તળાવ ખોદાવ્યું હોવાનો દાવો
નવસારી : ખડસુપા ગામે સરપંચ અને તલાટીએ તળાવ ઊંડું કરવા માટે મંજૂર કરેલો ઠરાવ ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવને કારણે તાલુકા વિકાસ અધિકારીએ રદ કર્યો હતો. જોકે આ બાબતની જાણ ઇજારદારને કરવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે ઈજારદારે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
નવસારી તાલુકાના ખડસુપા ગામે બ્લોક/સર્વે નં. 917 વાળા ગાડરિયા તળાવને ઊંડું કરવા બાબતે 2 ઓક્ટોબર 2023ની ગ્રામસભામાં ગ્રામજનોએ રજૂઆત કરી હતી. ત્યારબાદ ખડસુપા ગ્રામપંચાયતે 30 નવેમ્બર 2023ની સામાન્ય સભામાં તળાવ ઊંડું કરવા માટે બંધ કવરમાં વિકાસ ફાળાની વિગતો સહિત ભાવપત્રકો મંગાવવાનું નક્કી કર્યું હતું.
ભાવપત્રકો માટે ગ્રામપંચાયત કચેરીના નોટિસ બોર્ડ, મુખ્ય જાહેર માર્ગ અને ગામના ચોરા પર જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ચાર ઈજારદારોએ તળાવ ઊંડું કરી માટી ખોદી લઈ જવા બદલ લોકફાળો/વિકાસ ફાળો આપવા અંગેના ભાવપત્રકો રજૂ કર્યા હતા.
30 ડિસેમ્બર 2023ના રોજ ભાવપત્રકો ખોલવામાં આવતા સુરેશભાઈ બળદેવભાઈ જોગરાણા તરફથી સૌથી ઊંચો ભાવ મળતાં તેમનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુરેશભાઈએ 6 જાન્યુઆરી 2024ના રોજ ખડસુપા ગ્રામપંચાયતમાં લોકફાળા પેટે રૂ. 5 લાખ જમા કરાવ્યા હતા.
આ દરમિયાન ગાડરિયા તળાવ ઊંડું કરવા બાબતે નવસારી તાલુકા વિકાસ અધિકારી સમક્ષ વાંધા અરજી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન ટેન્ડર પ્રક્રિયા સહિતની કામગીરીમાં પારદર્શિતાનો અભાવ જણાતા ટીડીઓએ સુરેશભાઈના પક્ષમાં થયેલો ઠરાવ રદ કર્યો હતો.
ઈજારદાર સુરેશભાઈના આક્ષેપ મુજબ, ટીડીઓએ 22 એપ્રિલ 2024ના રોજ ઠરાવ રદ કરવાનો હુકમ કર્યો હોવા છતાં તેની જાણ તેમને કરવામાં આવી નહોતી. તેમનો દાવો છે કે સરપંચ અને તલાટીએ પણ રદ થયેલા ઠરાવ અંગે માહિતી આપ્યા વગર વિવિધ વિભાગોને અંધારામાં રાખી તળાવ ઊંડું કરવાની કામગીરી ચાલુ રાખવા જણાવ્યું હતું.
સુરેશભાઈએ વધુમાં આક્ષેપ કર્યો છે કે તળાવ ખોદવા માટે સરપંચ અને તલાટીએ અન્ય ઈજારદારને પણ મંજૂરી આપી હતી. સમગ્ર મામલે તેમણે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેના પગલે હાઈકોર્ટે તળાવ ખોદકામ બાબતે સ્ટે આપ્યો હોવાનું જણાવાયું છે. હાલ આ કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે.
સંબંધિત સમાચાર
શહેરમાં સફાઈના બણગા ફૂંકનાર નવસારી મનપાના શૌચાલયમાં જ ગંદકીનું સામ્રાજ્ય
વડાપ્રધાનના આગમન પૂર્વે શહેરભરમાં સ્વચ્છતા અભિયાન, મનપાની કચેરીના શૌચાલયની હાલત સામે ઉઠ્યા સવાલો નવસારી : આગામી 8મીએ વડાપ્રધાન નવસારી નમો કમલમનું ઉદ્ઘાટન કરવા માટે આવી રહ્યા છે. જેને પગલે નવસારી મહાનગરપાલિકા સહિત જિલ્લા તંત્ર દ્વારા સમગ્ર શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં મોટા પાયે સાફ-સફાઈની કામગીરી ચાલી રહી છે,…
વધુ વાંચોરોજિંદા મુસાફરો માટે મેમુ ટ્રેનની ફ્રિકવન્સી વધારવાની માંગ ઉગ્ર બની
પીક અવર્સમાં ભારે ભીડથી નોકરિયાતો-વિદ્યાર્થીઓ પરેશાન, રેલવે અધિકારીઓ અને સાંસદને ઈ-મેલ અભિયાન શરૂ નવસારી : નવસારી રેલવે સ્ટેશનથી રોજ હજારો મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. ખાસ કરીને સુરત અને વલસાડ તરફ નોકરીયાત વર્ગ રોજ ટ્રેનમાં અપડાઉન કરે છે. છેલ્લા કેટલાક સમયથી મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ ટ્રેનોની સંખ્યામાં વધારો ન થતાં મુસાફરી વધુ જોખમી…
વધુ વાંચોનવસારીમાં સમસ્ત દંતાણી દેવીપૂજક સમાજ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
દશેરા ટેકરીથી ફુવારા સુધી ભવ્ય શોભાયાત્રા, ગરબા અને મધરાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી નવસારી : નવસારી સમસ્ત દંતાણી દેવીપૂજક સમાજ દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભારે ઉત્સાહ અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં સ્થાનિક ભક્તો ઉપરાંત સમગ્ર ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રવિવારે દશેરા ટેકરીથી ફુવારા સુધી ડીજેના તાલ અને વાજતે-ગાજતે ભવ્ય…
વધુ વાંચોનવસારીના લુન્સીકૂઇ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે મનપાની કડક કાર્યવાહી
ખાણી-પીણીની લારીઓમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત, કુલ ₹5 હજારનો દંડ ફટકારાયો નવસારી : નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે આજે સવારથી વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ તથા સ્વચ્છતા ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત લુન્સીકુઈ વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં ખાણી-પીણીની લારીઓ અને અન્ય સ્થળોએ વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી. નવસારી મ્યુનિસિપલ…
વધુ વાંચો




