નવસારી શહેરને ખોળ અને વિજલપોરને કોણીએ ગોળ
Navsari city pampered while Vijalpore neglected
નવસારી મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓના વહીવટીથી વિજલપોરની પ્રજા દુઃખી
નવસારી શહેરના રસ્તાઓ ચમકતી સુવિધાવાળા અને વિજલપોરના રસ્તાઓ ખખડધજ
નવસારી : નવસારી મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓના વહીવટીથી વિજલપોરની પ્રજા દુઃખી થઇ રહી છે. નવસારી શહેરના રસ્તાઓ ચમકતી સુવિધાવાળા અને વિજલપોરના રસ્તાઓ ખખડધજ છે. જે ખખડધજ રસ્તાઓ નવા બનાવવાનું તો દુર સુધારવાની કામગીરી પણ પાલિકા કરી રહી નથી. ત્યારે મનપાના ઉચ્ચ અધિકારીઓ વિજલપોરની સુખ-સુવિધાને બાજુએ મૂકી માત્ર નવસારી શહેરને જ વિકસાવી રહી હોય તેમ લાગી રહ્યું છે.
નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓના વહીવટથી નવસારીના શહેરીજનો વાકેફ જ હતા. હવે તો વિજલપોર વિસ્તારના રહીશો પણ વાકેફ થઇ ગયા છે. વિજલપોર નગરપાલિકા અસ્તિત્વમાં હતી તે સમયે વિજલપોર શહેરનો વિકાસ ધીમે-ધીમે ખરો પણ ચાલી રહ્યો હતો. પરંતુ સરકારે વિજલપોર નગરપાલિકાને નવસારીમાં ભેળવી નવસારી-વિજલપોર નગરપાલિકા બનાવી. અને હવે તો નવસારી મહાનગરપાલિકા બની ચુકી છે. જોકે વિજલપોર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ સારી મળી રહે તે માટે શહેરના રહીશો પણ નવસારી મહાનગરપાલિકા બને તેની રાહ જોઈ રહ્યા છે. પરંતુ તેમની આશા ઉપર પાણી ફરી વળ્યું હોય તેમ લાગી રહ્યું છે. નવસારી મનપાના ઉચ્ચ અધિકારીઓ વિજલપોરમાં ધ્યાન ન આપી રહીશો સાથે અન્યાય કરી રહ્યા હોવાની ચર્ચા શહેરમાં ઘણી ચાલે છે.
નવસારી શહેરમાં જોઈએ તો ઘણા વિસ્તારોમાં ચોખ્ખા-સારા રસ્તા, સ્ટ્રીટ લાઈટો, ડ્રેનેજની સુવિધા ઘણી સારી દેખાઈ રહી છે. પરંતુ વિજલપોર વિસ્તારમાં કમરનો દુખાવો વધી જાય તેવા રસ્તાઓ છે. ડ્રેનેજોના ઢાંકણા સીધા નથી. કેટલીક જગ્યાએ સ્ટ્રીટ લાઈટના પણ ઠેકાણા નથી. આ સમસ્યાઓ સામે વિજલપોરના હજારો ઘરોમાં રહેતા રહીશો હાલ પણ ઝઝૂમી રહ્યા છે.
નવસારી અને વિજલપોર શહેરની સુખ-સુવિધા અને વ્યવસ્થા માટે એક જ કચેરી કામ કરી છે તે નવસારી મહાનગરપાલિકા છે. તે છતાં પણ વિજલપોરના ઘણા વિસ્તારોમાં સુવિધાનો અભાવ જોવા મળે તે નવાઈની વાત છે.
નવસારીમાં કોઈ કાર્યક્રમ હોય કે કોઈ પ્રસંગ હોય ત્યારે કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ તેમજ રાજ્ય કક્ષાના અધિકારીઓ નવસારીમાંથી પસાર થતા હોય છે. ત્યારે તંત્ર નવસારીના સારા રસ્તાને વધુ સારા અને ચોખ્ખા કરે છે. જે કામ પાછળ પ્રજાના લાખ્ખો રૂપિયા ખર્ચાય છે. પરંતુ પાલિકાને વેરો ભરતી વિજલપોરના રહીશોને સુવિધા આપવામાં શા માટે પાલિકા વિલંબ કરે છે તે સવાલ ઉભો થાય છે.
જો કદાચ મોટા-મોટા મંત્રીઓ અને અધિકારીને વિજલપોર વિસ્તારમાંથી પસાર થતા હોત તો તંત્ર રાતોરાત રસ્તાઓ, ડીવાઈડર, સ્ટ્રીટ લાઈટની સુવિધા કરી દે એ તો પાક્કું જ છે.
વિજલપોરમાં રામનગરથી વિઠ્ઠલ મંદિર સુધીનો રસ્તો, શિવાજી ચોકથી શુશ્રુષા હોસ્પિટલ સુધીનો રસ્તો તેમજ શુશ્રુષા હોસ્પિટલથી આશાપુરી મંદિર તરફ જતો આર.સી.સી. રસ્તો બદથી બદતર હાલતમાં હોવાથી વિજલપોરના રહીશો દુઃખી થઇ રહ્યા છે.
આ સિવાય શુશ્રુષા હોસ્પિટલથી આશાપુરી મંદિર તરફ જતા આર.સી.સી. રસ્તોની વચ્ચે મનપા તંત્ર દ્વારા જે તે સમયે વરસાદી ગટર બનાવવામાં આવી હતી. હાલ તે વરસાદી ગટરની હાલત પણ દયનીય બની છે.
બીજી તરફ નવસારીમાં ચોખ્ખા રસ્તાઓ તો છે જ. રસ્તાની વચ્ચે બનાવવામાં આવેલા ડીવાઈડરમાં પણ છોડવાઓ રોપવામાં આવ્યા છે. જેથી નવસારીના રસ્તાઓ સુંદર દેખાય છે. નવસારી મનપાના આ ભેદભાવને કરને વિજલપોરની પ્રજા હેરાન થઇ રહી છે.
વિજલપોર રેલ્વે ઓવરબ્રિજનું કામ હજી પણ અધૂરું !
નવસારી : તત્કાલીન નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા શહેરમાં બે ઓવરબ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. એક ઓવરબ્રિજ નવસારી રેલ્વે સ્ટેશનના પૂર્વ-પશ્ચિમ ભાગને જોડતો અને બીજો ઓવરબ્રિજ વિજલપોર રેલ્વે ફાટક ઉપરથી પૂર્વ-પશ્ચિમ ભાગને જોડવા માટે બનાવવાનું કામ શરુ કરાયું હતું.
જોકે નવસારી ઓવરબ્રિજ બનીને તે શરુ થઈને પણ અંદાજે ૨ વર્ષ જેટલો સમય થઇ ગયો છે. પરંતુ હજી પણ વિજલપોર ઓવરબ્રિજનું કામ અધુરી પરિસ્થિતિમાં જ છે. ત્યારે વિજલપોર રેલ્વે ઓવરબ્રિજનું કામ પણ વહેલી તકે પૂર્ણ થાય તેવી માંગ ઉઠવા પામી છે.
વિજલપોરની પ્રજા અવાજ ઉઠાવે તે જરૂરી
નવસારી : નવસારી શહેરમાં જે વિસ્તારોમાં રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ અને પીવાના પાણીની સમસ્યા સહિતની સમસ્યાઓ હોય તો તે વિસ્તારના લોકો મોરચો માંડી પાલિકા કચેરીએ પહોચી ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરે છે.
પણ વિજલપોર વિસ્તારના રહીશો ભેગા થઇ પાલિકામાં ફરિયાદ કરવા જતા નથી. જેના કારણે પણ કદાચ પાલિકા વિજલપોરમાં ઘણા સમય સુધી કામ કરતી નથી.
ત્યારે વિજલપોરની પ્રજા પણ તેમને પડતી મુશ્કેલી માટે અવાજ ઉઠાવે અને પાલિકામાં જઈ અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરે તે જરૂરી છે.
ફોટો ગેલેરી
Related Stories · સંબંધિત સમાચાર
વિજલપોર ગણેશ સંગઠનના નવા હોદ્દેદારોની વરણી કરાઈ
આગામી ગણેશોત્સવના આયોજન માટે વિજલપોર સમસ્ત ગણેશ ઉત્સવ સંગઠનના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી, જેમાં નરેશ પુરોહિત પ્રમુખ બન્યા.
Read moreનવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે એસેસમેન્ટ કેમ્પ યોજાયો
દિવ્યાંગજનો અને વયોવૃદ્ધજનોને સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવા નવસારી ટાઉન હોલ ખાતે એસેસમેન્ટ કેમ્પ યોજાયો, જેની કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલએ મુલાકાત લીધી.
Read moreનવસારી મહાનગરપાલિકા આઉટસોર્સ કર્મચારીઓની રજૂઆત બાદ એજન્સીઓ દ્વારા બાકી પગાર ચૂકવાયા
પગાર ન મળતા આઉટસોર્સ કર્મચારીઓએ મેયર સમક્ષ રજૂઆત કર્યા બાદ એજન્સીઓને સૂચના અપાઈ અને તમામ કર્મચારીઓનો બાકી પગાર ચૂકવવામાં આવ્યો.
Read moreબીલીમોરામાં ઈદે મિલાદ નિમિત્તે ભવ્ય જુલૂસ, કોમી એકતાનો સંદેશ
ઈદે મિલાદ નિમિત્તે બીલીમોરામાં દેસરા દરગાહથી ભવ્ય જુલૂસ યોજાયો, જેમાં શાંતિ, માનવસેવા, ભાઈચારો અને કોમી એકતાનો સંદેશ આપવામાં આવ્યો.
Read more




