દશામાની મૂર્તિનું વિસર્જન કરતી થાલા ગામની મહિલા ગણદેવીની અંબિકા નદીમાં પડી
Woman from Thala village falls into Ambika river at Gandevi during Dashama idol immersion, rescued by local swimmers
સ્થાનિક તરવૈયાઓએ મહિલાને બચાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડી
બીલીમોરા : ગણદેવીની અંબિકા નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલી થાલા ગામની મહિલા નદીમાં પડી જતાં પાણીના પ્રવાહમાં તણાઈ હતી. જોકે, ત્યાં હાજર સ્થાનિક તરવૈયાઓએ મહિલાને બચાવી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.
મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં 10 દિવસ અગાઉ માતાજીના ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે દશામાની પ્રતિમાની સ્થાપના કરી હતી. આ 10 દિવસ દરમિયાન ભક્તોએ માતાજીની પૂજા-અર્ચના કરી હતી. સાથે જ રાત્રિ દરમિયાન ગરબાનું આયોજન થતાં સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો.
10 દિવસ પૂર્ણ થતાં ભક્તો ગત મોડી રાતથી જ માતાજીની મૂર્તિઓનું નદીમાં વિસર્જન કરવા નીકળ્યા હતા. દશામાની મૂર્તિઓના વિસર્જન દરમિયાન સ્થાનિક તરવૈયાઓ હાજર રહી ભક્તોને મૂર્તિ વિસર્જનમાં મદદ કરી રહ્યા હતા. દરમિયાન ગણદેવી ખાતે મૂર્તિ વિસર્જન વખતે આ ઘટના સર્જાઈ હતી.
ચીખલી તાલુકાનાં કેટલાંક ગામોના ભક્તો માતાજીની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે ગણદેવીની અંબિકા નદી ખાતે આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી માતાજીની મૂર્તિઓનું વિસર્જન ચાલી રહ્યું હતું. તે દરમિયાન વહેલી સવારે ચીખલી તાલુકાના થાલા ગામમાં રહેતાં રમીલાબેન હળપતિ માતાજીની મૂર્તિનું વિસર્જન કરી રહ્યાં હતાં.
મૂર્તિ વિસર્જન દરમિયાન અચાનક પગ લપસી જતાં રમીલાબેન નદીમાં પડી ગયાં હતાં. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી તેઓ પાણીના પ્રવાહ સાથે તણાવા લાગ્યાં હતાં. આ દૃશ્ય જોઈ ત્યાં હાજર લોકોમાં ભય ફેલાયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. લોકોએ બચાવો-બચાવોની બૂમો પાડવાનું શરૂ કર્યું હતું.
તે સમયે હાજર સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક નદીમાં ઝંપલાવી રમીલાબેનને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ તરવૈયાઓએ રમીલાબેનને પકડીને પાણીના ધસમસતા પ્રવાહમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી નદીકિનારે પહોંચાડ્યાં હતાં.
ઘટનાને પગલે હાજર લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચતાં રમીલાબેનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ અંગે ગણદેવી પોલીસ મથકે જાણ કરવામાં આવતાં પોલીસે જાણવા જોગ નોંધ કરી આગળની તજવીજ હાથ ધરી છે.
અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી મૂર્તિ વિસર્જન સમયે નદીમાં ઊતરતાં સાવચેતી રાખવી જરૂરી છે.
Related Stories · સંબંધિત સમાચાર
બીલીમોરામાં ઈદ-એ-મિલાદના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
બીલીમોરા પોલીસ સ્ટેશન ખાતે ઈદ-એ-મિલાદના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં શહેર તથા આસપાસના ગામોના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read moreનવસારી મહાનગરપાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
નવસારી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને લગતા કુલ 49 કામોને મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત હસ્તકની 17 પ્રાથમિક શાળાઓનો વહીવટ પણ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપવાનો ઠરાવ પસાર થયો હતો.
Read moreનવસારી શાંતાદેવી રોડ પર સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા આઈ કેમ્પ યોજાયો
નવસારીના શાંતાદેવી રોડ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા યોજાયેલા આઈ કેમ્પમાં 150થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં આંખોની તપાસ સાથે રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Read moreછાપર ગામે મીટીંગમાં પુર સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે ઝપાઝપી થઇ
ગણદેવી તાલુકાના છાપર ગામે યોજાયેલી પુર સંઘર્ષ સમિતિની મીટીંગ દરમિયાન વોટ્સએપ ગ્રુપમાં મીટીંગ અંગેની જાણ ન કરવાના મુદ્દે ચર્ચા ગરમાતા કેટલાક સભ્યો વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાઈ હતી.
Read more




