ઇન્સ્યોરન્સના રૂપિયા ડાયરેક્ટ ઇન્સ્યોરન્સ કંપનીમાં જમા કરાવવાનું કહી સાયબર ઠગોએ નવસારીના વૃદ્ધ પાસેથી 31.54 લાખ રૂપિયા ભરાવી ઠગાઈ કરી
Cyber fraudsters dupe Navsari senior citizen of Rs 31.54 lakh in insurance scam
ઇન્સ્યોરન્સના રૂપિયા ડાયરેક્ટ કંપનીમાં જમા કરાવવાનું કહી વિશ્વાસમાં લીધા
ભરતભાઈએ ધીરે-ધીરે કુલ્લે 31,54,643 રૂપિયા સાયબર ઠગોના વિવિધ બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા
નવસારી : ઇન્સ્યોરન્સના રૂપિયા ડાયરેક્ટ ઇન્સ્યોરન્સ કંપનીમાં જમા કરાવવાનું કહી સાયબર ઠગોએ નવસારીના વૃદ્ધ પાસેથી 31.54 લાખ રૂપિયા ભરાવી ઠગાઈ કરતા મામલો નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પહોચ્યો છે.
મળતી માહિતી મુજબ, નવસારી કબીલપોર બારડોલી રોડ પર કુબેર નગર સોસાયટીમાં ભરતભાઈ ખુશાલભાઈ પટેલ (ઉ.વ. 61) તેમના પરિવાર સાથે રહે છે. ભરતભાઈ પાસે ભારતી એકસા લાઈફ ઇન્સ્યોરન્સ કંપની લી. ની બે પોલીસી હતી. જે બંને પોલીસી ચાલુ હતી. પરંતુ કોરોનાનો સમય આવતા પોલીસીના પ્રીમીયમ ભર્યા ન હતા.
ગત મે 2021 માં ભરતભાઈના મોબાઈલ પર અજાણ્યા મોબાઈલ નંબર પરથી અજાણ્યા ઇસમનો ફોન આવ્યો હતો. જે ઇસમે ભરતભાઈને જણાવ્યું હતું કે, તમે જે પોલીસી લીધી છે તે બીજા એજન્ટ મારફતે લીધી છે, તમે શું કામ બીજા દ્વારા પોલીસી લો છો અને રૂપિયા આપો છો, હું કંપનીમાંથી વાત કરું છું, તમે ડાયરેક્ટ હું જે એકાઉન્ટ નંબર આપું તેમાં જ રૂપિયા જમા કરાવજો જેનું વળતર પણ સારું મળશે અને તમારે કોઈ એજન્ટને કમીશન પણ નહી આપવું પડે તેવી વાત કરી હતી. જેથી ભરતભાઈને તે અજાણ્યા ઇસમની વાત ઉપર વિશ્વાસ આવતા ભરતભાઈએ અજાણ્યા ઇસમ દ્વારા આપવામાં આવેલા બેંક એકાઉન્ટમાં રૂપિયા ડીપોઝીટ કરાવતા હતા. જોકે ભરતભાઈને તે અજાણ્યા ઇસમ ઉપર શક-વહેમ જતા પરત રૂપિયા માંગ્યા હતા. પરંતુ તે ઇસમે કોઈ રૂપિયા પરત આપ્યા ન હતા.
ત્યારબાદ થોડા સમય પછી રવિ રાજન અને રવિ મહેતા નામના ઇસમોએ ભરતભાઈને ફોન કરી જણાવ્યું હતું કે, તમારા ઇન્સ્યોરન્સના રૂપિયા ફસાયેલા છે, તે રૂપિયા પરત મેળવવાના હોય તો જે બેંક એકાઉન્ટ મોકલેલ છે તે બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવા માટે જણાવ્યું હતું. જેથી ભરતભાઈને વિશ્વાસ આવતા ભરતભાઈએ તે બેંક એકાઉન્ટમાં રૂપિયા ડીપોઝીટ કર્યા હતા. પરંતુ ત્યાં પણ ભરતભાઈને તેમના રૂપિયા પરત મળ્યા ન હતા.
ત્યારબાદ ફરી થોડા સમય પછી રાજેન્દ્ર કે. રાખી નામના શખ્સે ભરતભાઈને ફોન કરી જણાવ્યું હતું કે, હું ઇન્સ્યોરન્સ કંપનીમાંથી બોલું છું, મે તમારી પોલીસી જોઈ છે તમારા ઇન્સ્યોરન્સના રૂપિયા ફસાયેલા છે તે રૂપિયા પરત મેળવવાના હોય તો તમારે પેમેન્ટ જમા કરવાનું બાકી છે તે જમા કરાવો પછી તમારા ઇન્સ્યોરન્સના રૂપિયા ચોક્કસથી પરત તમારા બેંક એકાઉન્ટમાં આવી જશે. જેથી ભરતભાઈને રાજેન્દ્ર નામના શખ્સની વાત ઉપર વિશ્વાસ આવતા રાજેન્દ્રએ આપેલા બેંક એકાઉન્ટમાં રૂપિયા ડીપોઝીટ કર્યા હતા. તેમજ રાજેન્દ્ર ભરતભાઈને રૂપિયા મળી જશે તેવી વિવિધ લાલચો આપી તેમજ ટેક્ષના રૂપિયા ભરવા પડશે તેમ કહી રૂપિયા બેંક એકાઉન્ટમાં ડીપોઝીટ કરાવડાવતો હતો. જોકે ભરતભાઈએ રૂપિયા ડીપોઝીટ કરવાનું બંધ કરી દીધું હતું.
ગત સપ્ટેમ્બર ૨૦૨૫ માં પ્રમોદ ગુપ્તા અને આર.કે. રેડ્ડી નામના અજાણ્યા શખ્સોએ ભરતભાઈને ફોન કરી જણાવ્યું હતું કે, હું ઇન્સ્યોરન્સ કંપનીમાંથી બોલું છું, મે તમારી પોલીસી જોઈ છે, તમારા રૂપિયા વીમા કંપનીમાં પડેલા જ છે તે રૂપિયા પરત મેળવવાના હોય તો તમારે ઇન્કમ ટેક્ષ ભરવો જ પડશે, નહી ભરો તો તમારી પોલીસીના કોઈ રૂપિયા નહી મળે, બધા રૂપિયા જતા રહેશે અને ઇન્કમ ટેક્ષની તમારા ઘરે રેડ થશે અને મોટી કાર્યવાહી કરશે, જેથી ઇન્કમ ટેક્ષના જે રૂપિયા ભરવાના થાય છે તે ભરી દો. જેથી ભરતભાઈએ હાલ કોઈ નાણા નથી તેમ જણાવતા તે અજાણ્યા શખ્સોએ હપ્તાથી રૂપિયા જમા કરી દો, તમારા બધા રૂપિયા પરત આવી જશે તેમ જણાવ્યું હતું. જેથી ભરતભાઈ તે પ્રમોદ ગુપ્તા અને આર.કે.રેડ્ડી નામના અજાણ્યા શખ્સોએ આપેલા બેંક એકાઉન્ટમાં રૂપિયા ડીપોઝીટ કર્યા હતા.
પરંતુ ભરતભાઈને તેમના ડિપોઝીટના પૈસા પરત ન મળતા ફ્રોડ થયું હોવાનું ધ્યાને આવ્યું હતું. ભરતભાઈએ ધીરે-ધીરે કુલ્લે 31,54,643 રૂપિયા સાયબર ઠગો દ્વારા આપવામાં આવેલા વિવિધ બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. જેથી ભરતભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે વિવિધ રાજ્યોમાં રહેતા 24 જેટલા સાયબર ઠગ સામે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. વી.જી. ભરવાડે હાથ ધરી છે.
આરોપીઓના નામો
આરાધના દેસાઈ, રવિ રાજન, રવિ મહેતા, રાજેન્દ્ર કે રાખી, પ્રમોદ ગુપ્તા, આર.કે. રેડ્ડી, ગાઝીયાબાદ જીલ્લાના ક્રિષ્ના નગરમાં ધીરુ શ્રીવાસ્તવ, શુભમ ઠાકુર, મુકેશ કુમાર, માનીશ પ્રેમચંદ, સચિન સતપાલ, સુરજકુમાર મહેશ પ્રસાદ, રોહિત મનોજ સૈની, અજયકુમાર મોહનલાલ, પુનમાભાઈ ખેમશીભાઈ ચૌધરી, યોગેશાકુમાર રામડીયા, વિમલેશકુમાર, રત્નેશકુમાર રમાશંકર ઉર્ફે બિહારી મિશ્રા, બ્રિજેશ રામકિશન, રાજેન્દ્રકુમાર સુખડુરામ નાગ, સપના બબલુ ગૌતમ, કોતા શંકર નીલયા રેડ્ડી, પૂજા નરેન્દ્રકુમાર અને દીપકકુમાર ઓમપ્રકાશ.
Related Stories · સંબંધિત સમાચાર
બીલીમોરામાં ઈદ-એ-મિલાદના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
બીલીમોરા પોલીસ સ્ટેશન ખાતે ઈદ-એ-મિલાદના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં શહેર તથા આસપાસના ગામોના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read moreનવસારી મહાનગરપાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
નવસારી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને લગતા કુલ 49 કામોને મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત હસ્તકની 17 પ્રાથમિક શાળાઓનો વહીવટ પણ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપવાનો ઠરાવ પસાર થયો હતો.
Read moreનવસારી શાંતાદેવી રોડ પર સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા આઈ કેમ્પ યોજાયો
નવસારીના શાંતાદેવી રોડ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા યોજાયેલા આઈ કેમ્પમાં 150થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં આંખોની તપાસ સાથે રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Read moreછાપર ગામે મીટીંગમાં પુર સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે ઝપાઝપી થઇ
ગણદેવી તાલુકાના છાપર ગામે યોજાયેલી પુર સંઘર્ષ સમિતિની મીટીંગ દરમિયાન વોટ્સએપ ગ્રુપમાં મીટીંગ અંગેની જાણ ન કરવાના મુદ્દે ચર્ચા ગરમાતા કેટલાક સભ્યો વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાઈ હતી.
Read more




