નવસારીમાં ડિમોલિશન કામગીરી દરમિયાન થયેલ ગેરસમજ ભૂલી એનએમસી મેયર પારસી અગ્રણી યઝદીભાઈના નિવાસસ્થાને તેમને રૂબરૂ મળવા પહોંચ્યા
Navsari Mayor visits Parsi leader Yazdibhai at his residence to resolve demolition misunderstanding
નવસારી : નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના સુવ્યવસ્થિત વિકાસ, ટ્રાફિક નિયમન અને નાગરિકોની સુરક્ષા તથા સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહીને પારદર્શક કામગીરી કરવામાં આવે છે. આ જ શૃંખલામાં ગત રોજ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને કોન્વેન્ટ સ્કૂલની બાજુમાં આવેલ ડો. સૌરભ મહેતાના ક્લિનિક અને તેની આસપાસના વિસ્તારોમાં દબાણ હટાવવા અંગેની આવશ્યક ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર વહીવટી કામગીરી દરમિયાન નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા પણ સ્થળ પર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કામગીરીનું સીધું નિરીક્ષણ કર્યું હતું.
પરંતુ, વિકાસલક્ષી આ કાર્યવાહી દરમિયાન એક અણધારી પરિસ્થિતિ નિર્માણ પામી હતી. પારસી સમાજના અગ્રણી ગણાતા યઝદીભાઈ અને તંત્ર વચ્ચે કામગીરી બાબતે ક્ષણિક ગેરસમજ ઉભી થવા પામી હતી. સ્થળ પરના તણાવ અને પરિસ્થિતિને કારણે વાતનું વતેસર થયું હતું અને વાટાઘાટો વધતાં સામાન્ય શાબ્દિક ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. લોકશાહીમાં એક સાચા જનપ્રતિનિધિનું મુખ્ય ઘરેણું તેની નમ્રતા અને સહનશીલતા હોય છે. આ બાબતને સાર્થક કરતા અને સંબંધો કોઈ એક ક્ષણની નારાજગી કરતાં ઘણા મોટા હોય છે તેવા ઉચ્ચ વિચાર સાથે મેયર અશોકભાઈ ધોરાજીયાએ મહાત્મા ગાંધીજીએ ચીંધેલા માર્ગ પર ચાલવાનો આદર્શ નિર્ણય લીધો. સત્તાનો કે પદનો કોઈપણ જાતનો અહંકાર રાખ્યા વિના, આજ રોજ મેયર સીધા જ પારસી અગ્રણી યઝદીભાઈના નિવાસસ્થાને તેમને રૂબરૂ મળવા પહોંચ્યા હતા.
આ મુલાકાત ખરા અર્થમાં સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ બની રહી. બંને અગ્રણીઓએ સાથે બેસીને ચા-પાણી કર્યા અને અત્યંત ખુલ્લા મને, નિખાલસતાથી દિલની વાત કરી. આ હકારાત્મક અને લાગણીસભર સંવાદથી ગઈકાલની જે પણ ગેરસમજ હતી તે સંપૂર્ણપણે દૂર થઈ ગઈ અને બંને તરફથી હૃદયપૂર્વક વાટાઘાટો થઈ. અંતે મનમાં રહેલો આક્રોશ અને મનદુઃખ કાયમ માટે દૂર થયા.
નવસારી એ પારસી સમાજની ઐતિહાસિક અને પવિત્ર ભૂમિ છે. નવસારીના વિકાસમાં સદીઓથી અમૂલ્ય યોગદાન આપનારા સમાજમાંથી પારસી સમાજ મુખ્ય છે. સાચા અર્થે મેયરનું આ પ્રશંસનીય પગલું એ સ્પષ્ટ સંદેશ આપે છે કે નવસારી મહાનગરપાલિકા માત્ર રસ્તા કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતો જ વિકાસ નથી કરતી, પરંતુ લોકોના હૃદયને જોડીને સામાજિક સૌહાર્દ અને ભાઈચારાને પણ એટલું જ મહત્વ આપે છે. ગાંધી ચિંધ્યા માર્ગે આવેલ આ સુખદ અંતે સૌ કોઈના દિલ જીતી લીધા છે.
Related Stories · સંબંધિત સમાચાર
બીલીમોરામાં ઈદ-એ-મિલાદના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
બીલીમોરા પોલીસ સ્ટેશન ખાતે ઈદ-એ-મિલાદના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં શહેર તથા આસપાસના ગામોના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read moreનવસારી મહાનગરપાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
નવસારી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને લગતા કુલ 49 કામોને મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત હસ્તકની 17 પ્રાથમિક શાળાઓનો વહીવટ પણ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપવાનો ઠરાવ પસાર થયો હતો.
Read moreનવસારી શાંતાદેવી રોડ પર સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા આઈ કેમ્પ યોજાયો
નવસારીના શાંતાદેવી રોડ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરના સહયોગથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા યોજાયેલા આઈ કેમ્પમાં 150થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં આંખોની તપાસ સાથે રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Read moreછાપર ગામે મીટીંગમાં પુર સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે ઝપાઝપી થઇ
ગણદેવી તાલુકાના છાપર ગામે યોજાયેલી પુર સંઘર્ષ સમિતિની મીટીંગ દરમિયાન વોટ્સએપ ગ્રુપમાં મીટીંગ અંગેની જાણ ન કરવાના મુદ્દે ચર્ચા ગરમાતા કેટલાક સભ્યો વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાઈ હતી.
Read more




