નવસારી મનપાના 5 વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓને ત્રણેક મહિનાથી પગાર ન મળતા કચેરીએ હોબાળો
નવસારી મનપાના 5 વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓને ત્રણેક મહિનાથી પગાર ન મળતા કચેરીએ હોબાળો
નવસારી : નવસારી મહાનગરપાલિકાના 5 વિભાગમાં આઉટસોર્સિંગથી કામ કરતા કર્મચારીઓને ત્રણેક મહિનાથી પગાર ન મળતા કર્મચારીઓએ મનપા કચેરીએ હોબાળો મચાવ્યો હતો. આગામી રક્ષાબંધનના તહેવાર ટાણે પગાર ન થતા આઉટસોર્સિંગ કર્મચારીઓ મનપાની કામગીરી સામે રોષે ભરાયા છે.
નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ કામગીરી માટે મનપા દ્વારા આઉટસોર્સિંગથી કર્મચારીઓ રાખવામાં આવ્યા છે. જે આઉટસોર્સિંગ કર્મચારીઓ શહેરને સાફ, સુંદર અને વ્યવસ્થિત રાખવાની કામગીરી કરે છે. પરંતુ શહેરની જાળવણીમાં ભાગ ભજવતા આઉટસોર્સિંગ કર્મચારીઓને જ તેમનું મહેનતાણું મળ્યું નથી.
નવસારી મહાનગરપાલિકાના માઈનોર વિભાગ, વોટર વર્કસ વિભાગ, ગાર્ડન અને એન્જિનિયરિંગ વિભાગ, ડ્રેનેજ-બાંધકામ વિભાગ અને દબાણ હટાવ વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓને છેલ્લા ત્રણેક મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી.
જેના કારણે આઉટસોર્સિંગ કર્મચારીઓને તેમના ઘરનું ગુજરાન ચલાવવામાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. આગામી થોડા દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે ત્રણેક મહિનાથી બાકી પગારમાં કામ કરી રહેલા આઉટસોર્સિંગ કર્મચારીઓ તહેવાર ટાણે આર્થિક સંકડામણ અનુભવી રહ્યા હતા.
જેથી આજે મનપા કચેરીના 5 વિભાગમાં કામ કરતા 30થી વધુ આઉટસોર્સિંગ કર્મચારીઓએ નવસારી મહાનગરપાલિકા કચેરીએ જઈ હોબાળો મચાવ્યો હતો. જ્યાં તેઓએ મેયર અને કારોબારી અધ્યક્ષને પગાર મળે તે બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી.
આઉટસોર્સિંગ કર્મચારીઓ સાથે રજૂઆત કરવા પહોંચેલા પૂર્વ નગરસેવક પિયુષ ઢીમ્મરે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, આઉટસોર્સિંગ કર્મચારીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. જે કર્મચારીઓના ₹17,500 પગાર નક્કી કરાયા હતા તેમને ₹12,000 અને ₹12,500 પગાર નક્કી કરાયેલા કર્મચારીઓને ₹10,000 જ ચૂકવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
મેયર અશોકભાઈ ધોરાજીયાએ આઉટસોર્સિંગ કર્મચારીઓની રજૂઆત સાંભળ્યા બાદ જણાવ્યું હતું કે, એજન્સીઓ સમયસર બિલ રજૂ ન કરે તેમાં પાલિકાનો વાંક નથી. જોકે 2 દિવસમાં તમામ કર્મચારીઓનો બાકી રહેલો પગાર ચૂકવી દેવાશે અને આઉટસોર્સિંગ કર્મચારીઓને દર મહિનાની 10 તારીખ સુધીમાં નિયમિત પગાર મળે તેવી વ્યવસ્થા કરવા માટે કારોબારી અધ્યક્ષને સૂચના આપી હતી.
આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ નવસારી શહેરમાં 2 વખત પૂર જેવી સમસ્યા સર્જાઈ હતી. જે સમયે જિલ્લા તંત્ર અને મનપા તંત્ર સાથે રહી આઉટસોર્સિંગ કર્મચારીઓ દિવસ-રાતની ચિંતા કર્યા વિના લોકસેવામાં જોડાયા હતા.
એટલું જ નહીં, પૂરનાં પાણી ઓસર્યા બાદ આ જ આઉટસોર્સિંગ કર્મચારીઓએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈ સાફ-સફાઈ કરી શહેરને ફરી સ્વચ્છ અને સુંદર બનાવ્યું હતું.
ત્યારે મનપાના ઉચ્ચ અધિકારીઓ આઉટસોર્સિંગ કર્મચારીઓનો સમયાંતરે પગાર ન ચૂકવે તે અન્યાય થયો હોવાનું શહેરમાં ચર્ચાઈ રહ્યું છે.
ફોટો ગેલેરી
Related Stories · સંબંધિત સમાચાર
નવસારીમાં તહેવાર ટાણે ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા હોટલ-રેસ્ટોરન્ટ અને માવા-મીઠાઈની દુકાનોમાં તપાસ કરાઈ
રક્ષાબંધન તહેવારને અનુલક્ષીને ખાદ્ય સુરક્ષા વિભાગે નવસારી જિલ્લામાં 31 ખાદ્ય સંસ્થાઓની તપાસ કરી અંદાજે ₹14,618નો 57.5 કિગ્રા ખાદ્ય જથ્થો નાશ કરાવ્યો.
Read moreનવસારીમાં પૂર્ણા નદીના પૂરથી પ્રભાવિત 500 પરિવારોને સહાય ચૂકવવા માંગ
પૂર્ણા નદીના ઘોડાપૂરથી નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોના આશરે 500 પરિવારોને થયેલા નુકસાન સામે આર્થિક સહાય વહેલી તકે ચૂકવવા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું.
Read moreગુજરાતની શાળા, કોલેજો, યુનિવર્સિટી તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બાકી રહેલી શિષ્યવૃત્તિ ચૂકવવા માંગ
નવસારી એબીવીપીએ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બાકી શિષ્યવૃત્તિ તાત્કાલિક ચૂકવવા માંગ કરી
Read moreનવસારી ખેડૂત મંડળીની 74મી સભામાં ખેડૂત હિતના નિર્ણયો
સહકારી પ્રવૃત્તિ માત્ર આર્થિક મોડલ નથી પણ સામાજિક શ્રદ્ધા છે : મહેશભાઈ પટેલ
Read more




